હવે અમદાવાદીઓ એક જ ટિકિટમાં એકસરખા ભાડામાં કરી શકાશે BRTS-AMTS બસમાં સફર, ભવિષ્યમાં મેટ્રોને જોડવાની વિચારણા

અમદાવાદના સિટી પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધાની વાત કરીએ તો એમટીએસ, બીઆરટીએસ અને મેટ્રો કાર્યરત છે. કોઈ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ વિભાગ હોય એ લોકોની સુવિધા માટે નીતનવા પ્રયોગ કરે છે, અમદાવાદમાં પણ આવા ઘણા પ્રયોગો થયા છે, જેમાં ઘણા સફળ થયા છે, તો ઘણા નિષ્ફળ ગયા છે. હાલમાં એએમટીએસ અને બીઆરટીએસને ઈન્ટિગ્રેટ કરવાની વાત ચાલી રહી છે, જે લગભગ 1 વર્ષમાં થઈ જશે. જો આ ઈન્ટિગ્રેશનની વાત કરીએ તો એ ચાર તબક્કામાં થવાનું છે. જેમાં પ્રથમ તબક્કામાં એએમટીએસ અને બીઆરટીનું ભાડું સરખું કરાશે, બીજા તબક્કામાં એએમટીએસ અને બીઆરટીમાં એક ટિકિટમાં મુસાફરી કરી શકાશે, ત્રીજા તબક્કામાં રૂટ રેશનલાઈઝેશન કરાશે અને ચોથા તબક્કામાં જરૂર હોય તે રૂટમાં બસ શરૂ કરાશે. ભવિષ્યમાં મેટ્રો સાથે પણ વિચારણા કરવામાં આવશે તેવું AMCએ જણાવ્યું છે.
પહેલા તબક્કાની વાત કરીએ તો એએમટીએસ અને બીઆરટીની ટિકિટના ભાવ સરખા કરવા, જેનો અમલ હમણાં જ થયો છે. ભાવ સરખા કરવા એ બસ શરૂઆત છે. ભાવ સરખા કર્યા બાદ એએમટીએસ અને બીઆરટીએસને ઘણો ફાયદો થયો છે. ભાવ સરખો કરવાથી છૂટા પૈસાની કોઈ મગજમારી રહેતી નથી અને લોકોનો પણ સારો પ્રતિસાદ મળ્યો છે. બીજા તબક્કાની વાત કરીએ તો એમાં એએમટીએસ અને બીઆરટીની ટિકિટ એક કરવામાં આવશે, જેથી તમે એએમટીએસ કે બીઆરટીએસ કોઈ પણ એકની ટિકિટ લઈ બંનેમાં મુસાફરી કરી શકશો. ઉદાહરણ તરીકે જો તમે એએમટીએસની ટિકિટ લેશો તો પણ તમે બીઆરટીએસમાં જઈ શકશો.
ત્રીજા તબક્કામાં રૂટ રેશનલાઈઝેશ કરાશે. જેમાં જો એક જ રૂટ પર બીઆરટીએસ અને એએમટીએસ બંને કાર્યરત હશે એવા રૂટ શોધીને એ રૂટ પર કોઈ એક જ સુવિધા ચાલુ રાખશે, જેથી ત્યાંની બસોને ડાયવર્ટ કરીને જે રૂટ પર જરૂર હશે ત્યાં ચલાવવામાં આવશે, જે ચોથો તબક્કો હશે. જેથી બીજા ઘણા રૂટનો પણ સમાવેશ થઈ શકે, જેથી લોકો વધુમાં વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી શકે.
આ મુદ્દે બીઆરટીએસના જનરલ મેનેજર અને આસિસ્ટન્ટ કમિશનર વિશાલ ખનામા જણાવે છે કે, હાલ અમદાવાદમાં બે પરિવહનની વ્યવસ્થા ચાલે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત જનમાર્ગ છે. જે એસપીએ બનાવેલી છે, જેમાં 321 બસો ચાલે છે, જેમાં 200 જેટલી ઈલેક્ટ્રિકલ બસો ચાલે છે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એ બીજી જૂની સંસ્થા છે, જેના અંતર્ગત 700 જેટલી બસો ચાલે છે. હાલમાં પ્રથમ તબક્કામાં તેમણે બન્ને સંસ્થાઓના ભાડાં સરખાં કરી 5, 10, 15ના ગુણાંકમાં કર્યાં છે.
વધુમાં જણાવ્યું હતું કે, હાલની વ્યવસ્થા શહેરીજનોને સારી પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા પૂરી પાડવાની છે. પબ્લિક ટ્રાન્સપોર્ટનો વપરાશ વધે એ માટે લાસ્ટ માઈલ કનેક્ટિવિટી સુધારવાના ભાગરૂપે એએમટીએસ અને બીઆરટીએસના ભાડાં સરખાં કરવામાં આવ્યાં છે. જેથી ભવિષ્યમાં લોકો એએમટીએસ અને બીઆરટીએસ બન્ને વ્યવસ્થાનો લાભ એકસાથે લઈ શકે. આને કારણે લોકોને આગળ જતા સારામાં સારી ટ્રાન્સપોર્ટ સુવિધા મળી શકશે.