
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાંદરવેલા ગામમાં આવેલ પાવડી ફળિયામાં નદી કિનારે એક મૃતદેહ મળી આવ્યો છે. સ્થાનિક ગ્રામજનોએ નદી કિનારે મૃતદેહ જોતાં તરત જ વાંસદા ટાઉન પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં મૃતક વ્યક્તિની ઓળખ વાઘાબારી ગામના રહેવાસી ઝીણાભાઈ પટેલ તરીકે થઈ છે.
મૃતદેહની આસપાસ પૂજાની સામગ્રી હોવાથી તે ભૂવો હોવાનું પોલીસનું અનુમાન છે. સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ વાંસદાના વાંદરવેલા ગામના ફળીયામાં ખુલ્લેઆમ એક વ્યક્તિ પડ્યો હતો. પહેલા તો લોકોને લાગ્યું કે આ શખ્સે દારૂ પીધો હોવાથી ભાન ભૂલ્યો હશે. પરંતુ લાંબા સમય સુધી જ્યારે આ શખ્સ દ્વારા કોઈ હલનચલન કરવામાં ના આવતા સ્થાનિક લોકોને દાળમાં કંઈક કાળુ લાગ્યું. અને તેમણે સમગ્ર મામલાની પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી જઈ પ્રાથમિક તપાસ કરતા આ શખ્સ ભૂવો હોવાનું લાગ્યું. વાંસદા પોલીસે મૃતદેહને પીએમ માટે વાંસદા કોટેજ હોસ્પિટલ ખસેડ્યો.
દરમિયાન પોલીસે આ ઘટનાની વધુ તપાસ કરતા સામે આવ્યું કે ભૂવાનું નામ ઝીણા પટેલ ભગત છે. અને તે વાઘાબારી ગામના કુકણીવાડ ફળીયાનો રહેવાસી છે. ઝીણા પટેલ ભૂવા તરીકે કામ કરતા અનેક લોકોને શિકાર બનાવ્યા છે. ભૂવાનો મૃતદેહ શંકાસ્પદ સ્થિતિમાં મળતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. ભૂવાએ કોઈ કારણસર આત્મહત્યા કરી છે કે પછી તેના દ્વારા શિકાર કરવામાં આવેલ કોઈ શખ્સનું કામ પાર ના પડતા તેની હત્યા કરવામાં આવી છે. ઝીણા પટેલની રહસ્યમય સંજોગોમાં લાશ મળતા પોલીસ સંભવત તમામ થિયરીને લઈને આ મામલાની તપાસ કરી રહી છે.
પોલીસે મૃતદેહનો કબજો લઈ લીધો છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. વાંસદા પોલીસ આ કેસમાં હત્યા કે આત્મહત્યાનો ભેદ ઉકેલવા માટે સઘન તપાસ કરી રહી છે. મૃત્યુનું કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.
આ પણ વાંચો, Rajkot: વિરાણી સ્કૂલમાં વિજ્ઞાન જાથાનો અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ યોજાશે
