Site icon Time News

ભવનાથ મહાદેવ મંદિરમાં ઊમટ્યું માનવ મહેરામણ, સોમનાથ ખાતે ફૂલ-લાઈટિંગથી ઝગમગ્યું પ્રથમ જ્યોતિર્લિંગ

મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે આજે દેશ વિદેશમાંથી હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે. ગુજરાતના સોમનાથ જ્યોતિર્લિંગથી લઇ જુનાગઢ સુધી મેળો અને ઉત્સાહનો માહોલ છે. આજે વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે શિવાલયોમાં નજર આવ્યા છે. ત્યારે દરેક જગ્યાએ પ્રશાસને ભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ના પડે તે માટેના યોગ્ય પગલાં લીધા છે.

મહાશિવરાત્રીના પાવન અવસર પર દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે વહેલી સવારથી જ શિવભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. સવારની આરતી દરમિયાન દેશ-વિદેશથી આવેલા હજારો ભક્તોએ ભોળાનાથના ભાવપૂર્વક દર્શન કરીને પૂજા-અર્ચના કરી અને વિશેષ આશીર્વાદ મેળવ્યા. મંદિર પરિસરમાં ‘હર હર મહાદેવ’ના જયઘોષ સાથે ભક્તિમય માહોલ સર્જાયો હતો. ભીડને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાના કડક બંધોબસ્ત સાથે દર્શન વ્યવસ્થા સુચારુ રીતે સંચાલિત કરવામાં આવી હતી. જેથી ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે.

મહાશિવરાત્રીના પાવન અવસરે ભવનાથ મંદિર ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે લાંબી કતારોમાં ઊભા રહી ‘બમ બમ ભોલે’ના જયઘોષ સાથે ભક્તિમય માહોલ સર્જ્યો હતો. જૂનાગઢની ભવનાથ તળેટી શિવભક્તોની ભીડથી ગૂંજી ઊઠી હતી. જ્યાં દૂરદૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ ભોળાનાથના દર્શન કરી પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા. ભક્તોની ભારે સંખ્યાને ધ્યાનમાં રાખી પ્રશાસન દ્વારા સુરક્ષા અને સુવ્યવસ્થિત દર્શન માટે જરૂરી તમામ તૈયારીઓ કરવામાં આવી હતી.

મહાશિવરાત્રીના પાવન પર્વે ભવનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરે પહોંચ્યા અને મહાદેવના દર્શન માટે લાંબી કતારો લાગી હતી. આ પ્રસંગે મહાદેવને આકર્ષક ફૂલ અને વિશેષ શણગારથી અલંકૃત કરવામાં આવ્યા હતા. જેને જોવા ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો. મહાશિવરાત્રી નિમિત્તે મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના કારણે સમગ્ર પરિસર ‘હર હર મહાદેવ’ના જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું.

મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. દેશ-વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા-અર્ચના કરવા માટે મંદિરે પહોંચ્યા હતા. શિવરાત્રીના અવસરે મંદિરમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમો સાથે પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સમગ્ર મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ના જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું અને ભક્તિમય માહોલ સર્જાયો હતો. આજે શિવરાત્રીના પર્વ નિમિત્તે સોમનાથ મંદિર 72 કલાક સુધી દર્શન માટે ખુલ્લું રહેશે.

Exit mobile version