સાતમી માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ની વાર્ષિક બોર્ડ પરીક્ષા શરૂ, વિદ્યાર્થીઓને તાત્કાલિક તબીબી સેવાઓ મળી રહશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા સાતમી માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ની વાર્ષિક બોર્ડ પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે રાજ્ય ભરના અંદાજે ૧૭ લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે અમદાવાદ સહિત તમામ જિલ્લાઓમાં પરીક્ષાને લગતી તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે જેમાં આ વર્ષે વિદ્યાર્થીઓ માટે તબીબી સહાય અંતર્ગત ૧૦૮ ઇમર્જન્સી સેવાથી એક ડગલું આગળ તબીબની સેવા તાત્કાલિક મળી રહે તેવી તૈયારીયો શરૂ કરવામાં આવી છે આ અંગે જિલ્લા શિક્ષક સંઘ સાથે બેઠકો યોજવામાં આવી રહી છે.
આ બેઠક માં પરીક્ષા કેન્દ્રોની નજીક રહેતા ડોકટરો અથવા નજીકની હોસ્પિટલ કે દવાખાનાની માહિતી એકઠી કરવામાં આવી રહી છે આ માહિતીના આધારે ચાલુ પરીક્ષાએ જો કોઈ વિદ્યાર્થીની તબિયત બગડશે તો ૧૦૮ ઇમર્જન્સીની મદદ તો લેવાશે. પરંતુ ૧૦૮ની પહેલાં ઝ્ડપથી ડોક્ટર જે તે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ૭મી માર્ચ ૨૦૧૯થી બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે. સાતમી માર્ચે પ્રથમ દિવસે ધો.૧૦ અને ધો.૧૨ સાયન્સ તેમજ ધો.૧૨ સામાન્ય પ્રવાહના પેપરો હશે અને લગભગ ૨૦મી સુધીમાં મોટા ભાગના મહત્વના વિષયો સાથેની પરીક્ષાઓ પૂર્ણ થશે.
જ્યારે ગુજકેટની પરીક્ષા ૩૦ માર્ચ ૨૦૧૯ના રોજ લેવાશે. વિદ્યાર્થીઓ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પણ તમામ પરીક્ષાઓનાં ટાઈમ ટેબલ જાહેર કરી દેવામાં આવ્યાં છે. બોર્ડ દ્વારા આ વર્ષે પણ પેપરો વચ્ચે એક એક દિવસની રજા ગોઠવવામાં આવી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પાંચ દિવસ જેટલી પરીક્ષાઓ વહેલી શરૂ થશે. ગત વર્ષે ૧૨મી માર્ચથી બોર્ડ પરીક્ષાઓ શરૂ થઈ હતી. રાજ્યમાં એન.સી.ઇ.આર.ટી.નાં પાઠય પુસ્તકોના અમલ અને બદલાયેલા અભ્યાસક્રમના પરિણામે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા ચાલુ શૈક્ષણિક વર્ષ થી ધોરણ ૯ થી ૧૨ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ વર્ષે લેવાનારી પરીક્ષામાં ગેરરીતિ કરનારા વિદ્યાર્થીઓ માટે બોર્ડ દ્વારા આકરા નિયમો બનાવામાં આવ્યાં છે.