ગુજરાત ગૃહ નિર્માણ બોર્ડ સુધારા વિધેયક આજે વિધાનસભામાં થયું મંજૂર
ગુજરાત સરકાર દ્રારા અમદાવાદ સહિત રાજ્યભરની હાઉસિંગ બોર્ડ હસ્તકની હજારો એકર જમીનમાં ઊભા કરાયેલાં મકાનોનું રી ડેવલપમેન્ટ થઇ શકશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ૭પ ટકા માલિકોની સંમતિથી રી ડેવલપમેન્ટ કરી શકશે. આ અંગેની જોગવાઇને કાયદાકીય સ્વરૂપે અપાતું ગુજરાત ગૃહ નિર્માણ બોર્ડ સુધારા વિધેયક આજે વિધાનસભામાં મંજૂર થયું છે. જો કોઇ માલિક કે ભાગ ધરાવનાર વ્યક્તિ જગ્યા ખાલી ન કરે તો તે જગ્યા ખાલી કરાવવા માટે એક મહિનાની નોટિસ આપવાની રહેશે.
આ માટે બોર્ડ કે જે તે વ્યક્તિગત એજન્સીને પુનઃ વિકાસની મુદ્દત માટે માલિકોને વૈકલ્પિક આવાસ કે પૂરું ભાડું આપવાનું રહેશે. જે મકાનો ખંડેર છે અથવા પડવાની શક્યતા છે કે જોખમકારક છે. અથવા પઝેશનની તારીખથી રપ વર્ષનો સમયગાળો પૂરો થઈ ગયો હોય તેવાં હાઉસિંગ બોર્ડનાં મકાનો હવે ફરી રી ડેવલપમેન્ટ કરી શકાશે. વિધાનસભાગૃહમાં આ બિલ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે. ડેવલપમેન્ટમાં જનારી કોલોનીમાં દરેક મકાનના માલિકને તેના કાર્પેટ એરિયા કરતાં ૪૦ ટકા વધુ એરિયા સાથેનું મકાન મળશે.