ગુજરાત

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જાહેર શૌચાલયની દીવાલો પર ચિત્ર દોરી સુંદર બનાવવા શિક્ષકોને આદેશ

રાજ્યમાં એકતરફ ગુણવત્તાયુક્ત શિક્ષણની વાતો થાય છે ત્યારે શિક્ષકોને તેમની મૂળ જવાબદારી સિવાયના કામોમાં વ્યસ્ત રાખવામાં આવે છે. રાજ્યમાં હવે શિક્ષકોને જાહેર શૌચાલયની દીવાલ ઉપર રંગબેરંગી ચિત્રો દોરવાની કામગીરી સોંપવાના આદેશ સરકારે કર્યા છે. કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દેશના તમામ રાજ્યોમાં ગામડાંથી લઇને તાલુકા, જિલ્લા, રાજ્ય અને દેશ કક્ષાએ સુંદર અને સ્વચ્છ શૌચાલય હરીફાઇ યોજવાની સૂચના આપવામાં આવી છે.

આ હરીફાઇમાં શૌચાલયોને સુંદર બનાવવા ઉપરાંત ગ્રામજનો શૌચાલયનો ઉપયોગ કરતા થાય તે માટે પ્રચાર પ્રસાર અને લોકજાગૃતિની કામગીરી પણ શિક્ષકોએ બજાવવાની રહેશે. અંકલેશ્વરના ટીડીઓ દ્વારા પરિપત્ર જારી કરીને દરેક ગામના સરપંચ અને તલાટીને તેમના ગામમાં કેટલા શૌચાલય આવેલા છે તેની યાદી બનાવીને પ્રાથમિક શાળાના શિક્ષકોને પહોંચાડવા અને નિયત કાર્યક્રમ પ્રમાણે શૌચાલયોની દીવાલ પર ચિત્રકામ થાય તે જોવા તાકીદ કરાઇ છે. આ પ્રકારે તમામ તાલુકામાં પણ સૂચના અપાઇ છે. ગ્રામ વિકાસ કમિશનર મોના ખંધારે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને તેની ગાઇડલાઇન પ્રમાણે શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે.

કેન્દ્ર સરકારે જાહેર કરેલી સ્વચ્છ અને સુંદર શૌચાલય હરીફાઇમાં તમામ ગામોના જાહેર શૌચાલય તો ખરા જ પણ ગ્રામજનોના વ્યક્તિગત શૌચાલયોને પણ રંગબેરંગી ચિત્રોથી સુંદર બનાવવાની સૂચના આપવામાં આવી છે. ગ્રામજનો કલરકામ અથવા વિવિધ પ્રકારની ટાઇલ્સ લગાવીને શૌચાલયોને રંગીન બનાવી શકે છે.

શૌચાલયોની હરીફાઇ સમગ્ર માર્ચ મહિના દરમિયાન ચાલશે. આ સમય શાળાઓમાં પરીક્ષાનો હોય છે ત્યારે વિદ્યાર્થીઓને છેલ્લી ઘડીની તૈયારી કરાવવાને બદલે શિક્ષકોને શૌચાલય રંગવાની કામગીરી સોંપવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button