
ગુજરાત બાદ હવે જોધપુર આશ્રમમાં સગીરા પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને રાજસ્થાન હાઇકોર્ટમાંથી રાહત મળી છે. કોર્ટે તેમના વચગાળાના જામીન 1 જુલાઈ સુધી લંબાવી દીધા છે.
હાઈકોર્ટે આસારામને સુપ્રીમ કોર્ટ દ્વારા અગાઉ જાહેર કરાયેલી શરતોનું પાલન કરવા જણાવ્યું છે. સોમવારે જસ્ટિસ દિનેશ મહેતા અને જસ્ટિસ વિનીત કુમારની ડિવિઝન બેન્ચમાં સુનાવણી થઈ.
આસારામ 14 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી વચગાળાના જામીન પર હતા. આ સમયગાળો પૂરો થયા પછી 1 એપ્રિલે આસારામે સરેન્ડર કરી દીધું હતું. એ જ રાત્રે તેમને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હજુ પણ ત્યાં જ દાખલ છે.
આસારામના વકીલ નિશાંત બોરડાએ જણાવ્યું હતું કે આ કેસની સુનાવણી 2 એપ્રિલે થઈ હતી. પીડિતાના વકીલ પીસી સોલંકીએ આસારામ પર સુપ્રીમ કોર્ટની પ્રવચન ન આપવાની શરતનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી હાઈકોર્ટે આસારામને સોગંદનામું રજૂ કરવા કહ્યું હતું.
નિશાંત બોરડાએ કહ્યું- આજે કોર્ટમાં એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું. કોર્ટે પૂછ્યું કે વચગાળાના જામીન મળ્યા પછી આસારામે ઉપદેશ આપ્યો કે નહીં? પીડિતા પાસેથી સોગંદનામું પણ માગવામાં આવ્યું હતું. પીડિત પક્ષના વકીલે કહ્યું હતું કે આસારામે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા વચગાળાના જામીન નિર્દેશોનું ઉલ્લંઘન કર્યું છે.
