
મુંબઈથી ન્યૂયોર્ક જવા માટે એર ઈન્ડિયાની ફ્લાઇટે ટેક ઓફ કરી દીધુ હતું. ફ્લાઇટ હવામાં જ હતી. તેવામાં જ વૉશરૂમમાંથી ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી આવી હતી. આ ફ્લાઇટમાં 320 થી વધુ લોકો હતા.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર એક મુસાફરને ટોઇલેટની અંદર એક ચિઠ્ઠી મળી હતી જેમાં લખ્યું હતું કે ફ્લાઇટમાં બોમ્બ છે. આ ચિઠ્ઠી વાંચીને તે ચિંતિત થઈ ગયો અને તેણે ઝડપથી ક્રૂને આ અંગે વિશે જાણ કરી હતી. ત્યારબાદ આ ફ્લાઇટનું છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓ દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી.
અધિકારીએ જણાવ્યું કે ફ્લાઇટમાં હજુ સુધી કંઈ શંકાસ્પદ મળ્યું નથી. અમે આની તપાસ કરી રહ્યા છીએ. તેમણે એમ પણ કહ્યું કે તેમણે આ મામલાના સંદર્ભમાં એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધાવી છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે બોઇંગ 777-300 ER વિમાનમાં 322 લોકો સવાર હતા, જેમાં 19 ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે. એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, સોમવારે મુંબઈથી ન્યૂયોર્ક (JFK) જતી ફ્લાઇટ AI119 માં સંભવિત સુરક્ષા ખતરો જોવા મળ્યો હતો. જો કે આવી જાણ થતા જ મુસાફરોને 10.25 કલાકે સુરક્ષિત મુંબઇ લવાયા હતા.
એરલાઇનના જણાવ્યા અનુસાર, સુરક્ષા એજન્સીઓ દ્વારા ફ્લાઇટની જરૂરી તપાસ કરવામાં આવી રહી છે અને એર ઇન્ડિયા અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપી રહી છે. હવે ફ્લાઇટ મંગળવારે સવારે 5 વાગ્યે કાર્યરત થશે. ત્યાં સુધી બધા મુસાફરોને હોટેલમાં રહેવાની વ્યવસ્થા, ભોજન અને અન્ય સહાય આપવામાં આવી છે. આ વિક્ષેપને કારણે અમારા મુસાફરોને થતી અસુવિધાને શક્ય તેટલા ઓછા સમયમાં ઘટાડવા માટે અમારા સાથીદારો કામ કરી રહ્યા છે. હંમેશની જેમ, એર ઇન્ડિયા મુસાફરો અને ક્રૂની સલામતીને પ્રથમ સ્થાન આપે છે.
આ પણ વાંચો. Surat: હોટલની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, થાઇલેન્ડની 6 યુવતીઓ સહિત 3 ગ્રાહકોની ધરપકડ
