
અમદાવાદ શહેરના વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અજયભાઈ રામેશ્વર પ્રસાદ જોશીએ પોલીસ સ્ટેશન ખાતે આવીને ગભરાયેલા સ્વરે જાણ કરી હતી કે, તેમનો સગીર વયનો દીકરો યુવરાજને રમવા બાબતે ઠપકો આપતા સાંજના પાંચ વાગ્યે ઘરેથી ચાલતા નીકળી ગયો હતો અને અત્યાર સુધી પરત આવ્યો નથી.
બનાવની ગંભીરતાને ધ્યાને લઈને વટવા પીઆઈ પી.બી.ઝાલા, પીએસઆઈ કુલદીપ પટેલ સહિતની પોલીસ ટીમ દ્વારા તાત્કાલિક અજયભાઈ જોશીને સાથે રાખી, સીસીટીવી ફૂટેજ આધારે તેમજ સોશિયલ મીડિયામાં મેસેજ કરી, હ્યુમન સોર્સિસ આધારે આશરે બે કલાકની જહેમત બાદ ગણતરીના સમયમાં ગુમ થયેલ યુવરાજને ગુરુપ્રસાદ ચાર રસ્તા ખાતેથી શોધી કાઢવામા આવ્યો હતો. અને તેના પરિવારજનો સાથે મિલન કરાવવામાં આવ્યું હતું. પરિવારજનોને પોતાનો સગીર દીકરો મળતા ભાવ વિભોર થઇ ગયા હતા.
મળી આવેલ યુવરાજ નામના છોકરાને વટવા પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા પૂછપરછ કરવામાં આવતા, પોતાને રમવા બાબતે પોતાની માતા અવાર નવાર ખીજાતા હોઈ, ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો અને ફરતા ફરતા ગુરુકૃપા ચાર રસ્તા પહોંચી ગયો હોવાની હકીકત જણાવી હતી. ઘરેથી નીકળી ગયેલ છોકરાને અમદાવાદ શહેર પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી અને સમયસૂચકતા કારણે પરિવાર સાથે મિલન કરાવતા, વટવા પોલીસ સ્ટેશન ખાતે ભાવવાહી દ્ર્શ્યો સર્જાયા હતા. ગુરુકૃપા ચાર રસ્તા ખાતેથી મળી આવેલા યુવરાજના પરિવારજનોએ અમદાવાદ શહેર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસે પણ પોતાના સંતાનોની સાર સંભાળ રાખવા સલાહ આપી હતી.
આ પણ વાંચો, Ahmedabad: 2030 કૉમનવેલ્થ ગેમ્સની યજમાનીની રેસમાં ઉતર્યું ભારત, અમદાવાદમાં થઇ શકે છે આયોજન
