Site icon Time News

Ahmedabad: નબીરાએ નશામાં કાર ચલાવી વાહનો અડફેટે લીધા, નબીરો છરો કાઢી લોકોને મારવા દોડતા લોકોએ ‘સર્વિસ’ કરી

અમદાવાદના ડ્રાઈવ ઈન રોડ પરના હિમાલયા મોલ પાસેથી 24 માર્ચને સોમવારે રાતે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં થાર લઈને નીકળેલા નબીરાએ 4થી 5 વાહનોને અડફેટે લીધા હતા. ત્યારબાદ કાર રોકાઈ જતાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને કાર પાસે પહોંચ્યું હતું. જેથી કારચાલક છરો લઈને બહાર નીકળતા રોષે ભરાયેલા લોકોએ તેની ધોલાઈ કરી હતી. તેમ છતાં તે રોડ પરથી મોટો પથ્થર ઉપાડીને લોકોને મારવા દોડયો હતો. આખરે પોલીસ આવતા તેને પકડીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. અકસ્માત તેમજ દારૂ પીને યુવકે કરેલા હુમલામાં 8 જેટલા માણસોને સામાન્ય ઈજા થઈ હતી.

હિમાલયા મોલ પાસેથી ગતરાતે 9.45 વાગ્યે પૂરઝડપે પસાર થઈ રહેલી થારના ચાલકે પહેલા ટુ-વ્હીલર, ત્યારબાદ 3 કારને ટક્કર મારી હતી. તેમ છતાં થારચાલકે કાર રોકી ન હતી. પરંતુ થોડે જ આગળ એક કાર સાથે થાર અથડાતા તે રોકાઈ ગઈ હતી. આ ઘટનાના પગલે મોટી સંખ્યામાં રાહદારીઓ ભેગા થઈ ગયા હતા અને થાર પાસે પહોંચ્યા હતા. આ સમયે થારમાંથી છરા સાથે ઊતરી યુવક લોકોને મારવા દોડ્યો હતો. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ થારચાલકને રસ્તામાં દોડાવી-દોડાવીને લાફા અને લાતોથી ફટકાર્યો હતો. બાદમાં કારચાલક યુવકે હાથમાં પથ્થર લેતા લોકો દૂર જતાં રહ્યા હતા. આ ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે.

બાદમાં ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આરોપીને પકડી લીધો હતો. પોલીસે આ સંદર્ભે થારચાલક સામે બે અલગ-અલગ ગુના નોંધ્યા છે. જેમાં દારૂ પીને ડ્રાઈવિંગ કરવું તેમજ પબ્લિક સાથે મારામારી કરવાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ કારચાલક કોણ હતો અને ક્યાં દારૂ પીને આવ્યો હતો? તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો, Weather Update: એપ્રિલમાં માવઠું થવાની આગાહી, જાણો ગુજરાતમાં કયા-કયા વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version