
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ઓએનજીસી સર્કલ નજીક મૈત્રી એવન્યુની બાજુમાં આવેલા આદિત્ય એવન્યુ નામની બિલ્ડિંગમાં આજે બપોરના સમયે લિફ્ટમાં ચાર લોકો ફસાયા હતા. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને લિફ્ટનો લાકડાનો દરવાજો તોડી જાળી ખોલી અને સહી સલામત બહાર કાઢી લીધા હતા. વર્ષો જૂની લિફ્ટ હતી અને કોઈ કારણોસર વચ્ચે અટવાઈ ગઈ હતી જેના કારણે આ બનાવ બન્યો હતો. 15 મિનિટમાં તમામ લોકોને બહાર કાઢી લેવાયા હતા.
ફાયર કંટ્રોલરૂમને મેસેજ મળ્યો હતો કે, ચાંદખેડા વિસ્તારમાં મૈત્રી એવન્યુની બાજુમાં આવેલા આદિત્ય એવન્યુ નામની બિલ્ડીંગમાં લિફ્ટમાં કેટલાક માણસો ફસાયેલા છે. જેથી ચાંદખેડા ફાયર સ્ટેશનની રેસ્ક્યૂ ટીમ રવાના થઈ હતી. ફાયર કર્મચારી શશીકાંત ચૌધરી અને અન્ય માણસો દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ચોથા અને ત્રીજા માળની વચ્ચે લિફ્ટ ફસાયેલી હતી. લિફ્ટમાં લાકડાનો દરવાજો અને જાળી હતી. જેના કારણે તેઓને બહાર કાઢવા માટે તાત્કાલિક ધોરણે લિફ્ટનો આંકડાનો દરવાજો તોડવામાં આવ્યો હતો અને લોખંડની જાળી ખોલવામાં આવી હતી.
લિફ્ટમાં બે મહિલા અને બે પુરુષ એમ ચાર લોકો ફસાઈ ગયા હતા તેઓને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ચાર માળની બિલ્ડીંગ હતી અને ચોથા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવી રહ્યા હતા. ત્યારે અચાનક જ ત્રીજા માળની વચ્ચે લિફ્ટ ફસાઈ ગઈ હતી અને આ દુર્ઘટના બની હતી.
સહી સલામત બહાર કાઢેલા વ્યક્તિઓના નામ
ગોવિંદભાઈ મફતલાલ પરમાર ઉંમર વર્ષ-54
રમીલાબેન ગોવિંદભાઈ પરમાર ઉંમર વર્ષ-52
જીગ્નેશભાઈ ગોવિંદભાઈ શાહ ઉંમર વર્ષ-28
તેજલબેન ગોવિંદભાઈ શાહ ઉંમર વર્ષ-21
આ પણ વાંચો, Ahmedabad:’સો. મીડિયા અને મોબાઇલના ઉપયોગને લઈ સરકાર SOP બનાવશે’: શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયા
