
અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં સુભાષચોક પાસે આવેલા પૂર્વી ટાવરમાં 8મા માળ પર આગ ફાટી નીકળી છે. એસીનું કોમ્પ્રેસર ફાટવાને કારણે આગ લાગી હતી અને ઘરમાં રહેલા બે બાટલા પણ ફાટ્યા હતા, જેના કારણે આગ ફેલાઈ હતી. ઘરમાં રહેલા તમામ લોકો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. નવમા અને દસમા માળ ઉપર જેટલા લોકો હતા તે તમામને રેસ્ક્યુ કરી ધાબા ઉપર લઈ જવાયા હતા.
બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તથા ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલમાં પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલું છે. ધાબા ઉપર રહેલા તમામ લોકોને સ્નોર્કલ (સીડી) વડે નીચે લાવવામાં આવ્યા હતા. હાલમાં ધાબા ઉપરથી બે બાળકો અને મહિલા સહિત 4 લોકોને નીચે ઉતાર્યા છે.
AMCના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેએ જણાવ્યું હતું કે અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા હાઇડ્રોલિક પ્લેટફોર્મ કમ સ્નોર્કેલ (સીડી) વડે 8 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યાં હતાં. જ્યારે 12થી 15 લોકોને સીડી વડે નીચે ઉતારવામાં આવ્યા હતા. કુલ 20થી વધારે લોકોને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
આ પણ વાંચો, Delhi: રાજધાની દિલ્હીના હવામાનમાં અચાનક પલટો, વાવાઝોડા બાદ કરા સાથે વરસાદ, આટલાના મોત
