Site icon Time News

પૂરગ્રસ્ત ગુજરાત માટે AAP ની સરકાર સમક્ષ 6 મોટી માંગણીઓ, અસરગ્રસ્તોને તાત્કાલિક રાહત આપવા અપીલ : Isudan Gadhvi

Isudan Gadhvi
Isudan Gadhvi

Isudan Gadhvi News: ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા અતિભારે વરસાદ અને સર્જાયેલી પૂરની પરિસ્થિતિને કારણે સમગ્ર રાજ્યમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી અનેક શહેરો અને ગામો પાણીમાં ગરકાવ થયા છે, હજારો પરિવારો બેઘર બન્યા છે, ખેતીને ભારે નુકસાન થયું છે, જ્યારે દુકાનો અને ફેક્ટરીઓમાં પાણી ઘૂસી જતાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે તેમજ જાહેર સંપત્તિને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. મીડિયા અહેવાલો મુજબ આ કુદરતી આફતમાં રાજ્યમાં 56થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે અને અનેક લોકો હજુ પણ લાપતા છે. આવી અત્યંત દુઃખદ અને ગંભીર પરિસ્થિતિમાં અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત અને યોગ્ય વળતર પહોંચાડવું રાજ્ય સરકારની પ્રથમ જવાબદારી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ મુખ્યમંત્રીને રજૂઆત કરીને જણાવ્યું છે કે સરકાર દ્વારા દર વર્ષે પ્રી-મોન્સૂન કામગીરીના મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ થોડા કલાકોના ભારે વરસાદમાં જ શહેરો પાણીમાં ડૂબી જાય છે, નવા બનેલા રસ્તાઓ ધોવાઈ જાય છે અને ડ્રેનેજ વ્યવસ્થા સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થાય છે. આ સ્થિતિ દર્શાવે છે કે પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર રહી ગઈ છે. અમદાવાદ, સુરત સહિત અનેક શહેરોમાં ટાઉન પ્લાનિંગ (TP) યોજનાઓમાં થયેલા ગેરઆયોજન અને ભ્રષ્ટાચારના કારણે કુદરતી પાણીના વહેણ અવરોધાયા છે અને તેના કારણે કરોડો રૂપિયાના રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. સમગ્ર મામલે જવાબદારી નક્કી કરી દોષિત અધિકારીઓ અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટી તરફથી રાજ્ય સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે કે પૂરની આફતમાં મૃત્યુ પામેલા દરેક વ્યક્તિના પરિવારને તાત્કાલિક ₹1 કરોડની આર્થિક સહાય જાહેર કરવામાં આવે તેમજ તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સર્વે હાથ ધરી ખેડૂતો, વેપારીઓ, નાના ઉદ્યોગકારો અને ફેક્ટરી માલિકોને થયેલા નુકસાનનું યોગ્ય અને સમયબદ્ધ વળતર ચૂકવવામાં આવે. આ ઉપરાંત ઘરવખરી, વાહનો અને રહેણાંક મકાનોને થયેલા નુકસાન માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવા, પ્રી-મોન્સૂન કામગીરીમાં થયેલી બેદરકારી અને ભ્રષ્ટાચારની ઉચ્ચસ્તરીય, સમયબદ્ધ અને સ્વતંત્ર તપાસ કરવા, TP સ્કીમો તથા શહેરોના કુદરતી પાણીના માર્ગો પર થયેલા ગેરકાયદેસર અવરોધો દૂર કરીને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા કાયમી આયોજન કરવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ, પીવાનું શુદ્ધ પાણી, વીજ પુરવઠો સહિતની જરૂરી સુવિધાઓ તાત્કાલિક પુનઃસ્થાપિત કરવાની માંગ કરવામાં આવી છે. ગુજરાતની જનતા હાલમાં અત્યંત મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે ત્યારે રાજકીય મતભેદોથી ઉપર ઊઠીને માનવતા અને જનહિતને પ્રાથમિકતા આપવી એ રાજ્ય સરકારની નૈતિક અને બંધારણીય જવાબદારી છે. આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકારને આ રજૂઆતને ગંભીરતાથી લઈને અસરગ્રસ્ત લોકોના હિતમાં તાત્કાલિક જરૂરી નિર્ણયો લેવા અપીલ કરી છે.

Exit mobile version