અમદાવાદ શહેરમાં કર્ણાવતી ક્લબ, પ્રહલાદનગર ચાર રસ્તા, YMCA નજીક 3 ફ્લાયઓવર બનશે.. નિતીન ગડકરીએ ટ્વીટ કરી આપી માહિતી
ભારત દેશમાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિિતન ગડકરીએ ટ્વિટ કરી ઈસ્કોનથી સાણંદ સુધી એલિવેટેડ કોરિડોરને મંજૂરીની જાહેરાત કરી હતી. આ માટે 530 કરોડ પણ મંજૂર કરાયા છે. ઈસ્કોન બ્રિજથી સાણંદ ચોકડી સુધીના 4 કિલોમીટરમાં કર્ણાવતી ક્લબ, પ્રહલાદનગર ચારરસ્તા અને વાયએમસીએ નજીકના ચાર રસ્તા પાસે 3 ફ્લાયઓવર બનાવવામાં આવશે. ગોતાથી થલતેજ જે પ્રકારે એલિવેટેડ કોરિડોર બનાવાયો છે તે જ રીતે અહીં પણ કોરિડોર બનાવાશે. જેમાં કર્ણાવતી જંકશન પર 800 મીટર, પ્રહલાદનગરથી વાયએમસીએ ચારરસ્તા સુધી 1200 મીટરનો બ્રિજ બનાવવામાં આવશે. જેથી એકપણ ચારરસ્તા પર ટ્રાફિક સિગ્નલ નડશે નહીં.
ઉલ્લેખનીય છે કે, સરખેજથી ચિલોડા સુધી અગાઉ 800 કરોડના ખર્ચે એલિવેટેડ કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં કર્ણાવતી, પ્રહલાદનગર અને વાયએમસીએ જંકશનને બાકાત રાખવામાં આવ્યા હતા. આ સ્થળોએ અગાઉ કોર્પોરેશન બ્રિજ બનાવશે તેવું નક્કી કરાયું હોવાને કારણે બાકાત રખાયા હતા.
ઈસ્કોન બ્રિજથી વાયએમસીએ આવતાં સરેરાશ હાલમાં 8 મિનિટ જેટલો સમય લાગે છે. બ્રિજ બન્યા પછી અંદાજે 4 મિનિટ લાગશે તેવું નિષ્ણાતોનું કહેવું છે. એસજી હાઈવે પર હાલ ગાંધીનગર-અમદાવાદ મળીને 10 ઓવર બ્રિજ આવેલા છે. હાલ માત્ર 3 જંકશન બાકી હતા જ્યાં ટ્રાફિકની ભારે સમસ્યા હતી. હવે અહીં પણ ફ્લાયઓવરને મંજૂરી મળતાં સમસ્યાનો હલ થશે.