Site icon Time News

 નોકરીમાં અનામત 20 ટકા, વયમાં છૂટછાટ સહિત અનેક લાભ, પૂર્વ અગ્નિવીરો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય

CM Bhupendra Patel

રાજ્યના પૂર્વ અગ્નિવીરોના ભવિષ્યને વધુ સુરક્ષિત અને ઉજ્જવળ બનાવવા માટે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ અગ્નિવીરોને સરકારી નોકરીઓમાં વિશેષ લાભ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

રાજ્ય સરકારના આ નિર્ણય અનુસાર પોલીસ દળના હથિયારી વિભાગ, સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP), જેલ વિભાગ તેમજ વન વિભાગની ભરતીમાં પૂર્વ અગ્નિવીરો માટે 20 ટકા અનામત રાખવામાં આવશે. આ પગલાથી અગ્નિવીર તરીકે દેશસેવા પૂર્ણ કરનારા યુવાનોને રાજ્ય સરકારની વિવિધ સેવાઓમાં જોડાવાની વધુ તક મળશે.આ ઉપરાંત પૂર્વ અગ્નિવીરોને ભરતી પ્રક્રિયામાં વય મર્યાદામાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. ભરતી દરમિયાન લેવામાં આવતી શારીરિક કસોટીમાંથી પણ મુક્તિ આપવામાં આવશે, જેથી તેમની સૈન્ય તાલીમ અને અનુભવને યોગ્ય માન્યતા મળી શકે.

રાજ્ય સરકારના આ નિર્ણયનો લાભ હથિયારી પીએસઆઈ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ તેમજ એસઆરપી પ્લાટૂન કમાન્ડર સહિતની વિવિધ ભરતી પ્રક્રિયાઓમાં મળશે.

સરકારના આ પગલાને કારણે અગ્નિવીર યોજના હેઠળ સેવા આપી ચૂકેલા યુવાનો માટે રોજગારની નવી તકો ઉભી થશે અને તેમના અનુભવનો લાભ રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને પણ મળશે.

Exit mobile version